(લખ્યા તારીખ: જાન્યુઆરી ૨૮, ૨૦૦૦)
(છંદ: લગાગા|લગાગા|લગાગા|લગાગા|લગાગા|લગાગા|લગાગા|લગાગા)
(તાલ: દાદરા)
(ત્રીજા શે’રમાં ભવાઈ નાટ્યકલાનું અપમાન કરવાનો ઇરાદો નથી.
ઈશ્વરની સમાન ભાગીદારીરૂપી મહારાસલીલાની સામે માત્ર આપણા જ કર્મો દ્વારા અભિનિત ભવ-ભવની ભાવઠની ભવાઈની વાત છે)
તમારા ઘડેલા બધાયે મનુષ્યો સદાને નવાઈ જ પામ્યા કરે છે
તમારી નજરમાં ભર્યું શું છ’ એવું સદા સૌ તવાઈ જ પામ્યા કરે છે?
નવાહન નથી કે નથી ભાગવત પણ, કહે શું કહાણી અમારાં ચરિત્રો?
ન તળ છે જ કૂવે, ન બળ બાહુએ છે, તમન્ના સવાઈ જ પામ્યા કરે છે!
કહ્યું’તું અમોને જગત છે તમારું રસે માણવાની મહારાસલીલા
છતાં નાથ જાણું ન કાં ભાગફૂટ્યો સદાને ભવાઈ જ પામ્યા કરે છે?
કહો ને કહેનાર “આવીશ પાછો” મહાભારતે, જંગ વચ્ચે બધાની,
વિશ્વાસે રખાવી, વહાણો વમાવ્યાં, ખલાસી જુદાઈ જ પામ્યા કરે છે!
તમે તો રહો છો સદા મંદિરે ’ને વસો છો બધાંમાં મનાયે સદાયે
પહોંચે ન યાદો લગી ત્યાં ય બંદા સદાને સરાઈ જ પામ્યા કરે છે!
Leave a comment